વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના 2023: 10 લાખ સુધીની સારવાર ફ્રી ફ્રી ફ્રી, જાણો ક્યાં, કેવી રીતે

આજે આયુષ્માન ભારત દિવસ… દર વર્ષે 30મી એપ્રિલે આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે. “આયુષ્માન ભારત” એ દેશની આરોગ્ય ક્ષેત્રની સૌથી વ્યાપક યોજના છે. જેને “મોદી-કેર” પણ કહેવામાં આવે છે. આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ભારત સરકારની એક સ્વાસ્થ્ય યોજના છે, જેને 23 સપ્ટેમ્બર 2018ના રોજ ભારતમાં લાગુ કરવામાં આવી હતી. 2018ના બજેટ સત્રમાં પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી સ્વ.અરુણ જેટલી દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા લોકોને આરોગ્ય વીમો આપવાનો છે. આ યોજના અંતર્ગત કુટુંબ દીઠ વાર્ષિક 5 લાખ સુધીનો કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે. (ગુજરાતના આયુષ્માન કાર્ડધારકોને 10,00,000 રૂપિયા સુધીની સારવાર નિઃશુલ્ક મળે છે. )

આજે આયુષ્માન ભારત દિવસ પર અમે આપને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે તમામ માહિતી આપીશું. આજે અમે આપને જણાવીશું કે આ યોજના હેઠળ કેવા-કેવા લાભો મળે છે અને તમે ક્યાંથી અને કેવી રીતે આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો.

  • દર વર્ષે 30મી એપ્રિલે ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ
  • 23 સપ્ટેમ્બર 2018ના રોજ ભારતમાં લાગુ કરવામાં આવી હતી PMJAY
  • આર્થિક રીતે નબળા લોકોને આરોગ્ય વીમો આપવાનો છે ઉદ્દેશ્ય
  • જાણો ક્યાંથી, કેવી રીતે, કોણ કઢાવી શકે છે આયુષ્માન કાર્ડ

આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય શું છે

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના કોઈપણ સભ્યને આકસ્મિત કોઈ ગંભીર બીમારી આવી પડે તો તે પરિવાર પડી ભાંગે છે અને પૈસાના અભાવના કારણે હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતો નથી અને ઘરે જ વેદનાથી મૃત્યુ પણ થઈ જતું હોય છે. આવા પરિવારને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે. જેના દ્વારા તેઓ સામાન્યથી લઈને ગંભીર બીમારીની સરકારી અથવા સરકાર માન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકે છે. આયુષ્માન કાર્ડના માધ્યમથી વાર્ષિક રૂપિયા પાંચ લાખ (5,00,000)ની કેશલેસ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જે રકમ ગુજરાતમાં આ વખતના બજેટમાં 10 લાખ સુધી વધારવામાં આવી છે.

આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ

આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું, કયાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. આયુષ્માન કાર્ડ માટે કઈ જગ્યાએ અરજી કરવી. આ તમામ માહિતી આજે અમે આપને જણાવીશું.

  1. આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. આવકનો દાખલો
  4. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર
  5. પાસપોર્ટ સાઇઝ ફોટો
  6. HHID નંબર (HHID નંબર એવા દરેક ફેમિલીને આપવામાં આવે છે, જે 2011માં વસ્તી ગણતરી હેઠળ આયુષ્માન ભારત યોજનાનો લાભ લઇ શકે છે)

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું

ઓફલાઈન તમે કોઈ નજીકની આયુષ્માન અંતર્ગત રજિસ્ટર્ડ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈને તમારું આયુષ્માન કાર્ડ બનાવડાવી શકો છો. આ ઉપરાંત તમે કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ તમારું આયુષ્માન કાર્ડ બનાવડાવી શકો છો.

ઓનલાઈન પ્રોસેસ માટે તમારે setu.pmjay.gov.inની વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં તમને ત્રણ વિકલ્પ મળશે (1) Register Yourself & Search Beneficiary (2) Do Your eKYC & wait for Approval અને (3) Download Your Ayushman Card. આમાં તમારે પહેલા વિકલ્પ પર ક્લિક કરીને મોબાઈલ નંબર અને આધારકાર્ડ દ્વારા રજિસ્ટર્ડ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારો ડેટા ઓટો ફેચ થઈને આવી જશે. જેને યોગ્ય રીતે વાંચીને તમારે સબમિટ કરવાનું રહેશે.

રજિસ્ટર્ડ કર્યા પછી તમારે ઈ-કેવાયસી પર જવાનું રહેશે. અહીં મોબાઈલ નંબરથી લોગઈન કરીને ઈ-કેવાયસી કરવાની રહેશે. ડેટા સબમિટ કર્યા પછી સરકાર 10/15 દિવસમાં ડેટા વેરિફાઈ કરશે. ડેટા વેરિફાઈ કર્યા બાદ તમે setu.pmjay.gov.inની વેબસાઈટ પરથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

કેમ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ

ભારતમાં આયુષ્માન ભારત દિવસ દર વર્ષે 30 એપ્રિલે ઉજવવામાં આવે છે. આયુષ્માન ભારત દિવસ બે લક્ષ્યોને હાંસલ કરવા માટે ઉજવવામાં આવે છે. એક ગરીબોના સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રોત્સાહન આપવું અને બીજુ છે તેમને વીમાનો લાભ આપવો. આયુષ્માન ભારત દિવસની ઉજવણી દર વર્ષે આયુષ્માન ભારત યોજનાના લક્ષ્યો અને ઉદ્દેશ્યોને પ્રકાશિત કરવા માટે કરવામાં આવે છે. આ યોજના અસંખ્ય લાભો સાથે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ 5 લાખ રૂપિયાનું કવરેજ પૂરું પાડે છે.

આ યોજનાનો લાભ શું છે?

આષ્યુમાન કાર્ડ ધરાવતા લોકો દેશની કોઈપણ એ હોસ્પિટલોમાં મફતમાં સારવાર કરાવી શકે છે, જે હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના હેઠળ રજિસ્ટર્ડ છે. દેશભરમાં હાલ 28,215 હોસ્પિટલ રજિસ્ટર્ડ છે, જેમાંથી 15,374 સરકારી હોસ્પિટલ છે, જ્યારે 12,841 પ્રાઈવેટ હોસ્પિટલ છે. આ યોજના અંતર્ગત પ્રી-હોસ્પિટલાઈઝેશન અને પોસ્ટ હોસ્પિટલાઈઝેશન કવર થાય છે. એટલે કે હોસ્પિટલમાં સારવાર બાદ રજા મળ્યાના 15 દિવસ સુધીનો મેડિકલ ખર્ચ આ યોજનામાં કવર થાય છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા જવાના ભાડા પેટે સહાય પણ આપવામાં આવે છે.

આ યોજનામાં પેપરલેશ અને કેસલેશ સારવાર મળે છે, દર્દીઓ કોઈપણ અરજી ફોર્મ ભરવાની જરૂર નથી. તેમજ કોઈપણ ચાર્જ પણ દેવો પડતો નથી. આ કાર્ડ દ્વારા દર્દી દેશના કોઈપણ ખુણામાં જઈને સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકે છે. માન્ય હોસ્પિટલોમાં રજિસ્ટ્રેશન, કન્સલ્ટેશન, સર્જરી, સર્જરી બાદ દવાઓ, લેબોરેટરી રિપોર્ટ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.

કોણ લાભ લઇ શકશે

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોનો ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળે છે. આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જે પરિવારની વાર્ષિક 2.5 લાખથી આવક ઓછી છે તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત બીપીએલ કાર્ડધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

કઈ-કઈ હોસ્પિટલોમાં મળે છે ફ્રીમાં સારવાર

આ યોજના અંતર્ગત જે હોસ્પિટલોમાં ફ્રીમાં સારવાર આપવામાં આવે છે તે લિસ્ટ ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ ફોલો કરો.

  1. સૌથી પહેલા PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in પર જાવ.
  2. ત્યારબાદ વેબસાઇટ પર ઉપર આપેલ FIND HOSPITAL ઓપ્શન પર ક્લિક કરો.
  3. હવે તમારે અહીં એક ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારે તમારા રાજ્યનું નામ, જિલ્લો, હોસ્પિટલનો પ્રકાર, સ્પેશિયાલિટી અને એમ્પેનલમેન્ટ પ્રકાર
  4. સિલેક્ટ કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  5. સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ તમને હોસ્પિટલનું લિસ્ટ જોવા મળશે.

કાર્ડથી કઈ-કઈ બીમારીઓની કરાવી શકાય છે સારવાર

આયુષ્માન કાર્ડમાં પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે. આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળે છે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળે છે. આમાં ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 2827 જેટલી હોસ્પિટલમાં નિ:શુલ્ક પણે સેવાઓ ઉપલબ્ધ

દેશના લોકો માટે PM મોદીએ શરૂ કરેલી આયુષ્માન યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. દાવા ચૂકવણીના સંદર્ભે 6589 કરોડની દાવા-નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે પહોંચ્યું છે. 2018થી 2022 સુધીમાં કુલ 1 કરોડ 67 લાખ 38 હજાર 600 લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 1.8 કરોડ લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ જારી કરાયા છે. રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર આકસ્મિક બીમારીના કારણે ખર્ચ કરવામાં દેવાદાર ન બને તેની ચિંતા સરકારે કરી છે. ગુજરાતમાં 1974 સરકારી અને 853 ખાનગી આમ કુલ 2827 જેટલી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિ:શુલ્ક પણે ઉપલબ્ધ છે. ગુજરાતમાં અંદાજીત 34 લાખ જેટલા ક્લેમ્સ આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે છે. જ્યારે દાવા ચૂકવણીની રકમની દ્રષ્ટિએ રૂ. 6589 કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

આયુષ્માન યોજનામાં નામ છે કે નહીં કેવી રીતે ચેક કરવું

  1. સૌથી પહેલા આયુષ્માન ભારત યોજનાની વેબસાઇટ https://mera.pmjay.gov.in/search/login પર જાવો
  2. જે બાદ તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો. મોબાઈલ નંબર નાખતાની સાથે જ તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. આ ઓટીપીને દાખલ કરો.
  3. ત્યાર પછી તમે અલગ-અલગ રીતેથી તમારું નામ ચેક કરી શકો છે, તમે જેનાથી પણ તમારું નામ શોધવા માંગતા હોય તે સિલેક્ટ કરો. (1) નામ દ્વારા (2) રેશન કાર્ડ નંબર (3) મોબાઈલ નંબર.
  4. અહીં હવે તમારું નામ લખો (રેશનકાર્ડમાં જે રીતે તમારું નામ લખેલું છે, એ મુજબ જ નામ લખવું)
  5. તમારી વિગતો ભરતાની સાથે જ તમારું નામ આષ્યુમાન ભારત યોજનામાં હશે તો તમને બતાવશે.
  6. ફેમિલી ડિટેલ પર ક્લિક કરતાની સાથે જ તમારા પરિવારની બધી જ વિગતો ખુલી જશે.
  7. આ પછી તમારે Get Details On SMS પર ક્લિક કરવાનું રહેશે અને તમારો HHID નંબર મોબાઈલમાં આવી જશે. જેને લઈને તમે આ કાર્ડ બનાવી શકો છો.

આ પણ વાંચો 

Scroll to Top